ચાર પેઢીથી રુડી માના રસોઈથી સરસપુરમાં બને છે ભોજન, નાથને આવકારવા ગલીઓ ધોવાઈ

આજે અમદાવાદમાં રંગેચંગે ભગવાન જગન્નાથજીની 146 રથયાત્રા નીકળી છે. રથયાત્રા પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન માટે ખાસ પ્રસાદ મોકલ્યો છે. વર્ષોની પરંપરા મુજબ પ્રધાનમંત્રી દ્વારા ભગવાનને ધરાવવા માટે જાંબુ, મગ અને કેરીનો પ્રસાદ મોકલવામાં આવે છે. ત્યારે સૌથી વધુ ઉન્માદ તો અમદાવાદના સરસપુરમાં જોવા મળ્યો છે. કારણ કે, રથ નિજ મંદિરથી નીકળીને મોસાળમાં મામાના ઘરે આવશે. ત્યારે સરસપુરની ગલીઓમાં ભાણેજને આવકારવાની તમામ તૈયારીઓ થઈ રહી છે. ખાસ કરીને સરસપુરવાસીઓ ભગવાન જગન્નાથની રથયાત્રા આવે તે પહેલાં તેમના સ્વાગતમાં રસ્તાઓ ધોઈ રહ્યા છે. ભગવાન ખુદ ભાણેજ બનીને આવી રહ્યાં છે, ત્યારે સરસપુરવાસીઓ તેના સ્વાગતની તૈયારીઓમાં લાગી ગયા છે.

સવારથી જ સરસપુરના રોડ ધોવામાં આવી રહ્યા છે. ભગવાનના રથ સરસપુર પહોંચે તે પહેલાં રોડ ધોઈ ઠંડા કરવામાં આવી રહ્યાં છે. ખલાસીઓ ખુલ્લા પગે ભગવાનનો રથ ખેંચે છે. તેથી તેમના પગ ન બળે તે પણ ધ્યાનમાં રાખી રોડ ધોવામાં આવે છે. સાથે જ એક સ્થાનિક ભક્તે જણાવ્યું કે, ભગવાન ઠંડા થાય તો અમારા બાળકો પણ ઠંડા થાય. આમ, ગઈકાલથી જ સરસપુરની ગલીએ ગલીએ તૈયારીઓ ચાલી રહી હતી. ક્યાં ભોજન, ક્યાંક ભજન, તો ક્યાંક શણગારની તૈયારીઓ કરાઈ. ભારે ઉત્સાહ સાથે સરસપુર વાસીઓ ભગવાનની રાહ જોઈ રહ્યાં છે. મામાના ધરે કોઈ કષ્ટ ન પડે તે તમામ બાબતોનું ધ્યાન રાખવામા આવે છે.

ભગવાન ખુદ ભાણેજ બની મોસાળમાં આવી રહ્યા છે ત્યારે સરસપુરવાસીઓમાં તેમના સ્વાગત માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. અમદાવાદની પોળમાં રસોડાની કામગીરીમાં સૌ લોકો જોડાયા છે. ભાણેજ માટે અલગ અલગ પકવાન પૂરી, મોહનથાળ અને ફૂલવડીની સુગંધથી આખું સરસપુર મહેકી ઉઠ્યું છે. ભગવાનની સાથે આવનારા તમામ ભક્તોનું ઉમળકાભેર સ્વાગત કરવામા આવશે. તમામને જમાડવામાં આવશે.

સરસપુરના રસોડાની વાત કરીએ તો અહી ભક્તોને જમાડવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે. લગભગ 100 વર્ષોથી સરસપુરમાં ભક્તો અને સાધુસંતોને જમાડવામાં આવે છે. લગભગ લાખો ભક્તો આ પ્રસાદીનો લ્હાવો લે છે. આ રસોડું ચાર પેઢીથી એક જ પરિવાર ચલાવે છે. સરસપુરમાં ભક્તોને જમાડવા માટે રૂડીમાનું રસોડું છે. ભક્તોને જમાડવાની શરૂઆત જ રૂડીમાનાં રસોડાથી જ થઈ છે. પાંચ પોળના પ્રકાશભાઈ કહે છે કે, 90 વર્ષ જેવું થઈ ગયું છે. અત્યારે અમારી ચોથી પેઢી ચાલે છે. જમવામાં પુરી-શાક અને બુંદી આપવામાં આવે છે. સાધુ-સંતો અને ભક્તોનું ખૂબ જ સારી રીતે સ્વાગત કરવામાં આવે છે. અહીં ત્રણ દિવસથી રસોડું ચાલ છે અને રસોડામાં સેવા આપવા માટે બહારગામથી પણ લોકો જોડાયા છે.

રથયાત્રાના આગળમાં દિવસે પુરી, ફૂલવડી, લાડુ તૈયાર કરવામાં આવે છે. જ્યારે રથયાત્રાના દિવસે વહેલી સવારે શાક, દાળ અને ભાત તૈયાર કરવામાં આવે છે. આગલા દિવસે પુરી બનાવવાનું કાર્ય કરવામાં આવે છે અને રથયાત્રાના દિવસે પરોઢીયે શાક બનાવવામાં આવે છે. દર વર્ષે ભગવાનને અહીંથી જ સુખડીનો ભોગ ચઢાવવામાં આવે છે. અહી હજારો લોકો જમે છે, પરંતુ ક્યારેય ભગવાનની પ્રસાદી ખૂંટતી નથી.

આ રસોડું લગભગ અઠવાડિયા પહેલાથી ધમધમતુ થઈ જાય છે. મોસાળમાં જમાડવા માટે રથયાત્રાના અઠવાડિયા અગાઉથી તૈયારી કરી દેવામાં આવે છે. એક મહિના અગાઉથી રસોઈ માટેની સામગ્રી એકઠી કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાનના મોસાળમાં અલગ અલગ પોળમાં મહિલાઓ અને સ્વયંસેવકો દ્વારા અનાજ સાફ કરીને રસોઈની તૈયારી કરવામાં આવે છે.

નગરના નાથ માટે સરસપુરના આંબલીવાળાની પોળમાં ખાસ ભોગ તૈયાર કરવામાં આવે છે. ભગવાન માટે સુખડીનો ભોગ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ભગવાનને પ્રિય તેવી ખીર, તેમજ તેને મીઠો ભાત અને વિવિધ પ્રકારના ભાતના મિષ્ટાન અને મગ પણ ખાસ તૈયાર કરવામાં આવે છે. સાથે માટીની જારીમાં ભગવાનને યમુનાના જળ ભગવાન માટે લઈ જવામાં આવે છે. આ ભોગ ખાસ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. વાજતેગાજતે આ ભોગ લઈ જવામાં આવે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *